આજના યુગની આવશ્યકતા : રાષ્ટ્રીય ચારિત્ર્ય પર નિબંધ Ajna yug ni avashyakta rashtriya charitra Essay in Gujarati

આજના યુગની આવશ્યકતા : રાષ્ટ્રીય ચારિત્ર્ય પર નિબંધ Ajna yug ni avashyakta rashtriya charitra Essay in Gujarati: અંગ્રેજીમાં એક કહેવત જાણીતી છે :

If money is lost nothing is lost,
Health is lost, something is lost,
But if character is lost, everything is lost.

આજના યુગની આવશ્યકતા : રાષ્ટ્રીય ચારિત્ર્ય પર નિબંધ Ajna yug ni avashyakta rashtriya charitra Essay in Gujarati

અર્થાત્ જ્યારે વ્યક્તિ પૈસા ગુમાવે છે ત્યારે તેણે કશું જ ગુમાવ્યું નથી; તંદુરસ્તી ગુમાવે છે ત્યારે તેણે કંઈક ગુમાવ્યું છે, પણ જો તે ચારિત્ર્ય ગુમાવે તો તેણે સર્વસ્વ ગુમાવ્યું છે.

ચારિત્ર્યના બે પ્રકાર છે. વ્યક્તિગત ચારિત્ર્ય અને રાષ્ટ્રીય ચારિત્ર્ય, વ્યક્તિગત ચારિત્ર્ય આપણા અંગત વ્યવહારોનું નિયમન કરે છે. જ્યારે રાષ્ટ્રીય ચારિત્ર્ય રાષ્ટ્ર સાથેના આપણા વ્યવહારોનું નિયમન કરે છે.

એક સંસ્કૃત સુભાષિત સુંદર સંદેશો આપે છે:

“आहार-निद्रा-भय-मैथुनं च, सामान्यमेतत् पशुभिर्नराणाम्।
धर्मो हि तेषां अधिको विशेषो धर्मेण हीनाः पशुभिः समानाः॥”

અર્થાત્ ખોરાક, નિદ્રા, ભય અને વાસનાની બાબતમાં માનવ અને પશુ સમાન છે, પરંતુ ધર્મ અને ચારિત્ર્યનું એકમાત્ર તત્ત્વ માનવીને પશુથી જુદો તારવી એક બુદ્ધિશાળી પ્રાણી તરીકે ઓળખાવે છે.

ભારત એક વિશાળ લોકશાહી દેશ છે. વિવિધ ભાષા, સંસ્કૃતિ અને ધર્મના લોકો અહીં વસવાટ કરે છે. અનેકતામાં એકતા એ આપણા દેશની વિશેષતા છે. પણ અમુક સ્વાર્થી લોકો ભાષા, સંસ્કૃતિ અને ધર્મના નામે ઝઘડા ઊભા કરે છે. તેનાથી દેશની એકતા અને અખંડતાને ભારે હાનિ થાય છે. દેશનાં વિવિધ રાજ્યોમાં થઈ રહેલી ત્રાસવાદી અને નક્સલવાદી પ્રવૃત્તિઓ માટે સ્વાર્થી અને દેશદ્રોહી તત્ત્વો જવાબદાર છે.

વિસ્તાર અને વસ્તીની દષ્ટિએ આપણો દેશ ઘણો વિશાળ છે. ખનીજ સંપત્તિની દષ્ટિએ પણ સમૃદ્ધ છે, આમ છતાં વિકાસની દૃષ્ટિએ બીજા દેશો કરતાં આપણે ઘણા પાછળ છીએ. ભ્રષ્ટાચાર, સંગ્રહખોરી, કાળાબજાર અને બેકારીને લીધે દેશ પ્રગતિ કરી શકતો નથી.

એક તરફ સરકારી ગોદામોમાં લાખો ટન અનાજ સડી જાય છે અને બીજી તરફ લાખો લોકો ભૂખે મરી જાય છે. મુઠ્ઠીભર લોકો પાસે. અતિશય સંપત્તિ છે જ્યારે અસંખ્ય લોકો દારુણ ગરીબીમાં સબડી રહ્યા છે. મહેનતુ અને પ્રામાણિક કરદાતાને વીજળી, પાણી, રસ્તા, ગટર વગેરે જેવી પ્રાથમિક સુવિધાઓ અપાતી નથી જ્યારે વી.આઈ.પી. વર્ગની સગવડો સાચવવા પાછળ અબજો રૂપિયાનું આંધણ થઈ જાય છે.

ભ્રષ્ટ દેશોની યાદીમાં આપણા દેશનો ક્રમ ઘણો આગળ છે. આઝાદી પછીનાં 70 વર્ષો દરમિયાન ભ્રષ્ટાચારીઓએ જાહેર નાણાંની બેફામ લૂંટ ચલાવી દેશના અબજો રૂપિયા ઘરભેગા કર્યા છે. તેને લીધે દેશ દેવાદાર બની ગયો છે. ઉપરાંત મોંધવારી, ફુગાવો, બેકારી અને ભૂખમરો જેવી સમસ્યાઓ સર્જાઈ છે. ગુમરાહ યુવાનો જાહેરમાં દેશવિરોધી નારા લગાવે અને અમુક નેતાઓ તેને સમર્થન આપવા લાગે, તે દેશને માટે કલંકરૂપ ગણાય. આઝાદીના 70 વર્ષ પછી પણ દેશ અનેકાનેક ગંભીર સમસ્યાઓથી ઘેરાયેલો છે. પ્રજામાં રાષ્ટ્રીય સંસ્કારોનો અભાવ એ જ આ સમસ્યાઓનું મુખ્ય કારણ છે. પ્રત્યેક નાગરિક ‘પહેલા દેશ, પછી ઘર’ એ સિદ્ધાંતનું સ્વેચ્છાએ પાલન કરે, તેમજ દેશહિતને નુકસાન થાય એવું કોઈ જ કામ ન કરે. દેશહિતનું જતન કરવા માટે તમામ અભ્યાસક્રમોમાં રાષ્ટ્રીય ચારિત્ર્યના પાઠ સામેલ કરવાની તાતી જરૂરિયાત છે.