શાળામાં અપાતા શિક્ષણના લાભ પર નિબંધ Benefits of School Education Essay in Gujarati

શાળામાં અપાતા શિક્ષણના લાભ પર નિબંધ Benefits of School Education Essay in Gujarati OR Shalama apata Shikshan Na Labh Guajrati Nibandh: જેમ શિલ્પી ટાંકણા વડે કંડારીને પથ્થરમાંથી સુંદર પ્રતિમા બનાવે છે તેમ શાળામાં શિક્ષક બાળકને શિક્ષણ આપીને તેનું ઘડતર કરે છે. આથી જ બાળકના જીવનમાં શાળા મહત્ત્વનું સ્થાન ધરાવે છે.

શાળામાં અપાતા શિક્ષણના લાભ પર નિબંધ Benefits of School Education Essay in Gujarati

બાલમંદિરથી જ બાળકના શાળાશિક્ષણની શરૂઆત થાય છે. બાલમંદિરમાં શિક્ષણ આપતી બહેનો બાળકને માતાની હૂંફ આપે છે. બાળકને અહીં માતાના જેવો જ પ્રેમ મળે છે. બાળકને ગીતો, જોડકણાં, વાર્તાકથન, રમતગમત વગેરે દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. તેને ગમતું વાતાવરણ મળતાં તે ગમ્મત સાથે રમતાંરમતાં જ્ઞાન મેળવે છે.

પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં બાળકને અનેક વિષયોનું શિક્ષણ આપવામાં આવે છે. તે ભાષાઓ ઉપરાંત ગણિત, વિજ્ઞાન અને ટેક્નોલોજી, સામાજિક વિજ્ઞાન વગેરે વિષયોનું શિક્ષણ મેળવે છે. આ શિક્ષણથી બાળકની કારકિર્દી ઘડાય છે. તે તેની રસરુચિ અને આવડત પ્રમાણે તેના જીવનનું કાર્યક્ષેત્ર પસંદ કરી શકે છે.

શાળામાં શિક્ષણની સાથેસાથે અનેક ઇતરપ્રવૃત્તિઓ પણ થતી હોય છે. આ ઇતર- પ્રવૃત્તિઓ બાળકના જીવનઘડતરમાં ઘણી ઉપયોગી થાય છે. પ્રાર્થનાથી બાળકને હૃદયની કેળવણી મળે છે. શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા બાળકની અભિનયકલા, વસ્તૃત્વકલા વગેરે વિકસે છે.

શાળામાં યોજાતાં શ્રમયજ્ઞ, સફાઈ, તહેવારોની ઉજવણી વગેરે દ્વારા બાળકને સફાઈ, સૌદર્ય, શરીરસ્વાથ્ય વગેરેનું મહત્ત્વ સમજાય છે. મહાપુરુષોનાં જીવનચરિત્રો વાંચવાથી તેને સારાં કાર્યો કરવાની પ્રેરણા મળે છે. તેનામાં રાષ્ટ્રભાવનાનો વિકાસ થાય છે.

શાળામાં વિવિધ પ્રવાસો અને રમતગમતની પ્રવૃત્તિઓ યોજાય છે. તેનાથી બાળકની તંદુરસ્તી સારી રહે છે. વળી તેનામાં અનુશાસન, શિસ્ત, સહકાર, સહનશક્તિ જેવા ગુણો વિકસે છે. તેનું ભૌગોલિક જ્ઞાન વધે છે.

શાળામાં સંગીત, ચિત્ર અને ઉદ્યોગ જેવા વિષયો શીખવાય છે. તેનાથી બાળકમાં તે વિષયો તરફની અભિરુચિ વિકસે છે. કેટલાંક બાળકો આગળ જતાં સારા ચિત્રકાર કે સારા સંગીતકાર પણ બને છે.

દુષ્કાળ, પૂર, ભૂકંપ, વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ વખતે બાળકો અસરગ્રસ્તો માટે શાળા મારફત ફાળો ઉધરાવે છે અને કોઈ વાર અસરગ્રસ્તોની મુલાકાત પણ લે છે. તેનાથી બાળકોમાં સેવાભાવનાનો ગુણ વિકસે છે.

આમ, શાળાનું વાતાવરણ બાળકના જીવનઘડતરમાં અગત્યનું છે.