લોકશાહીનાં અવરોધક પરીબળો પર નિબંધ Impeding Factors of Democracy Essay in Gujarati

લોકશાહીનાં અવરોધક પરીબળો પર નિબંધ Impeding Factors of Democracy Essay in Gujarati OR Lokshahi Na avrodhak Paribalo Guajrati Nibandh: લોકશાહી એટલે લોકોનું રાજ્ય. લોકો વડે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ચલાવાતું શાસન તંત્ર. જોકે આ લોકશાહી ક્યારેક યોગ્ય તો ક્યારેક અયોગ્ય પદ્ધતિએ પણ ચાલતી. હોય છે. અયોગ્ય પદ્ધતિએ ચાલતી લોકશાહી દેશને ભારે નુકસાન કરે છે.

ભારત દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે, પરંતુ લોકશાહીની સફળતાનો આધાર દેશની જાગ્રત જનતા પર રહેલો છે. જો દેશની જનતા સુશિક્ષિત હોય, જાગ્રત હોય અને તેના હૃદયમાં દેશપ્રેમ હોય તો જ દેશમાં સાચી લોકશાહીની સ્થાપના થઈ શકે.

લોકશાહીનાં અવરોધક પરીબળો પર નિબંધ Impeding Factors of Democracy Essay in Gujarati

ભારતની લોકશાહીની પ્રગતિને રૂંધનારા અનેક પરિબળો આજે જોવા મળે છે. એમાં નિરક્ષરતા એ સૌથી મોટું પરિબળ છે. ભારતને આઝાદી મળ્યું આટલાં વર્ષ વીતી ગયાં હોવા છતાં ભારતમાંથી નિરક્ષરતા નાબૂદ થઈ શકી નથી. આપણા દેશમાં શિક્ષિત મતદારોની સંખ્યા મોટા પ્રમાણમાં વધી નથી. ભારત ગામડાઓનો બનેલો દેશ છે, ગામડાંનાં અભણ સ્ત્રીપુરુષો રાજકીય પક્ષોની નીતિ અને કાર્યક્રમને સમજી શકતાં નથી કે ક્યારેક ઉમેદવારનું સાચું મૂલ્યાંકન પણ કરી શકતાં નથી. સ્થાનિક કાર્યકરો કે પરિબળો તેમને દોરે તેમ તેઓ દોરવાઈ જાય છે. સાથેસાથે લોભલાલચમાં ફસાઈને તેઓ નબળા ઉમેદવારને પોતાનો કીમતી મત આપી બેસે છે.

ભારત બિનસાંપ્રદાયિકતા અને ધર્મનિરપેક્ષતાને વરેલો દેશ છે. આમ છતાં, દેશના રાજકારણમાં જુદા જુદા ધર્મોની વાડાબંધી તંદુરસ્ત લોકશાહીને અવરોધે છે. દેશમાં હિંદુ અને મુસલમાન મતદાતાઓની સંખ્યા વિશેષ છે. કેટલાય વિસ્તારોમાં તેઓ પોતાના ધર્મના ઉમેદવારને મત આપવાનું વલણ ધરાવે છે. રાજકીય પક્ષો પણ આ પ્રકારની ગણતરી માંડીને જ પોતાના ઉમેદવારો પસંદ કરે છે, પરિણામે એ વિસ્તારમાં ક્યારેક લાયક ઉમેદવારો ચૂંટાતા નથી. ધર્મ કે જ્ઞાતિની આવી વાડાબંધી તંદુરસ્ત લોકશાહી માટે ખતરારૂપ સાબિત થઈ છે. આજે ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારમાં કેટકેટલા અપરાધીઓ, ડાકુઓ અને ખૂનીઓ ચૂંટણીમાં ચૂંટાઈને આવ્યા છે, એવા ઉમેદવારો ભારત દેશનું શું ભલું કરવાના?

દેશમાં અકાળે આવતી ચૂંટણીઓને લીધે મતદાનનું પ્રમાણ ઓછું થતું જાય છે, મતદાન બાબતે લોકોમાં ઉદાસીનતા જોવા મળે છે. તેમાં અભણ પ્રજા પોતાના મતની કિંમત સમજતી નથી અને સુશિક્ષિત પ્રજા પોતાનો મત આપવાની પવિત્ર ફરજ પ્રત્યે બેપરવા રહે છે. પરિણામે સમજપૂર્વક કરવામાં આવતા મતદાનની ટકાવારી ઘટે છે અને યોગ્ય ઉમેદવાર ચૂંટણી હારી જાય છે.

લોકશાહી માટે અનેક રાજકીય પક્ષો હોવા તે પણ વિઘાતક પરિબળ છે. એક કે બે સંગીન વિરોધપક્ષ એ જ તંદુરસ્ત લોકશાહીનું લક્ષણ હોઈ શકે, પરંતુ આપણા દેશમાં અનેક પક્ષો છે અને દરેક પક્ષના અલગઅલગ ઉમેદવારો ઊભા રાખવામાં આવે છે. એમાં અપક્ષ ઉમેદવારોની સંખ્યા પણ મોટી હોય છે પરિણામે મતપત્રકો મોટાં થઈ જાય છે. આથી દ્વિધાના કારણે કેટલાક મતદારો ખોટી રીતે સિક્કો મારી દેતા હોય છે પરિણામે ઘણા મત નકામા જાય છે. વળી ચૂંટાઈ આવેલા સભ્યોમાં શાસકપક્ષના સભ્યોની સંખ્યા ખૂબ મોટી હોય તો તે સ્વચ્છંદી પણ બની જાય છે અને મન ફાવે તેમ વર્તે છે એટલે સબળ વિરોધપક્ષ તો હોવો જ જોઈએ.

જ્ઞાતિવાદ, પ્રાદેશિકવાદ અને ભાષાવાદ જેવી સંકુચિત વૃત્તિઓ આપણા દેશમાં ફૂલીફાલી છે, જે રાષ્ટ્ર તથા લોકશાહી માટે ભયજનક છે.

આપણે આપણા દેશની લોકશાહીને સફળ અને સબળ બનાવવી હશે તો દેશમાંથી નિરક્ષરતાને જડમૂળથી નાબૂદ કરવી પડશે. આપણા દેશમાં જન્મેલું દરેક બાળક સુશિક્ષિત બને એવું વાતાવરણ ઊભું કરવું પડશે. મતદાન ફરજિયાત કરવું પડશે. કોમવાદ અને જ્ઞાતિવાદની ભાગલા પાડતી વાડાબંધી દૂર કરવી પડશે. લોકોમાં રાષ્ટ્રભાવનાનો વિકાસ થાય તે માટે લોકોનાં સુખસગવડની ચિંતા કરવી પડશે. રેડિયો, ટીવી, વર્તમાનપત્રો વગેરે જેવાં પ્રસાર માધ્યમો વડે દેશના નાગરિકોને લોકશાહી અને નાગરિકધર્મની સમજ આપવી પડશે.

શિક્ષિત અને જાગૃત નાગરિક જ લોકશાહી રાજ્યવ્યવસ્થાના પાયાની ઈંટ છે.