ભારતે કરેલા અણુધડાકાની દુરગામી અસરો પર નિબંધ Effects of Nuclear Blasts Essay in Gujarati

ભારતે કરેલા અણુધડાકાની દુરગામી અસરો પર નિબંધ Effects of Nuclear Blasts Essay in Gujarati or Bharate Karela Anudhadaka Ni Asaro Guajrati Nibandh: જગતે બબ્બે વિશ્વયુદ્ધની સંહારલીલા જોઈ છે. પહેલા વિશ્વયુદ્ધ પછી ફરી બીજું વિશ્વયુદ્ધ ન થાય તે માટેના ભગીરથ પ્રયત્નો કરવા છતાં માત્ર વીસ જ વર્ષમાં બીજું વિશ્વયુદ્ધ થયું હતું. બીજા વિશ્વયુદ્ધમાં લડાયક વિમાનો, સબમરીનો, રણગાડીઓ, બૉમ્બ વગેરેનો છૂટથી ઉપયોગ થયેલો અને અસંખ્ય માણસોનાં મોત થયેલાં. અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી શહેરો પર પરમાણુ બૉમ્બ ઝીંકીને ઘડીના છઠ્ઠા ભાગમાં તેનો સંપૂર્ણ નાશ કરી નાખ્યો હતો.

ભારતે કરેલા અણુધડાકાની દુરગામી અસરો પર નિબંધ Effects of Nuclear Blasts Essay in Gujarati

એમાં લગભગ પંચોતેર હજાર માણસો માર્યા ગયા હતા. કવિ ઉમાશંકરે એક કાવ્યમાં કહ્યું છે :

“અહો મહા ઉદ્યમ યુદ્ધનો આ,
અંતે જેને જીવવું માત્ર રોવા.”

વિશ્વની મહાસત્તાઓએ અણુશસ્ત્રોના ઉત્પાદનની હોડ લગાવી છે. મહાસત્તાઓ માને છે કે વિશ્વમાં પોતાનું વર્ચરવ ટકાવી રાખવા દેશની લશ્કરી તાકાત વધારવી જ પડશે, સંરક્ષણને પ્રાધાન્ય આપવું જ પડશે.

ભારત વિશ્વનો એક મોટો લોકશાહી દેશ છે. ભારતના મોટા ભાગના પાડોશી દેશો સાથેના સંબંધો સારા રહ્યા છે, પરંતુ કાશ્મીરના પ્રશ્ન ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો કાયમ તંગ રહે છે. ભારતે લંબાવેલા મૈત્રીના હાથને પાકિસ્તાન ભારતની નબળાઈ સમજે છે. પાકિસ્તાન ભારત સાથે ત્રણ-ત્રણ વાર યુદ્ધ કરી ચૂક્યું છે. દરેક વખતે પાકિસ્તાનની હાર થઈ છે; છતાં પાકિસ્તાનના શાસકો યુદ્ધની વાતો છોડવા તૈયાર નથી. યુદ્ધમાં જીત ન થઈ એટલે અત્યારે પાકિસ્તાન ભારતમાં આતંકવાદીઓ અને ત્રાસવાદીઓને ઘુસાડી આતંક ફેલાવવા સતત પ્રયત્ન કરે છે, આવા સંજોગોમાં ભારતે સાવધાની રાખીને લશ્કરી તાકાત વધાર્યા વિના, અણુશક્તિ વિકસાવ્યા વિના છૂટકો નથી.

ભારતની નીતિ સ્પષ્ટ છે. ભારત કોઈ પણ દેશ પર આક્રમણ કરવા માગતો નથી. પરંતુ તે કોઈ પણ દેશની કનડગત પણ ચલાવી લેવા માગતો નથી. આથી ભારતે વિશ્વના કેટલાક દેશોની જેમ પોતાની અણુશક્તિ વિકસાવી છે. ભારતે પોખરણમાં અણુધડાકો કરીને વિશ્વમાં પોતાની શાંત તાકાત બતાવી આપી છે, ભારતની નેમ અણુશક્તિનો શાંતિમય ઉપયોગ કરવાની છે.

અણુધડાકાથી દુનિયાના દેશોને ભારતની લશ્કરી તાકાતનો પરિચય થઈ ગયો છે. ભારતે સાબિત કરી આપ્યું છે કે ભારતના વિજ્ઞાનીઓ અદ્યતન ટેક્નોલૉજીથી વાકેફ છે અને કોઈ પણ પડકારને પહોંચી વળવા સક્ષમ છે. ભારત અણુશક્તિ ધરાવતો દેશ બન્યો હોવાથી વિશ્વના દેશો ક્યારેક ભારતને એક મહાસત્તા તરીકે સ્વીકારશે. આથી દેશની સલામતી પણ કાયમ રહેશે પરિણામે દરેક ક્ષેત્રમાં દેશનો સારો વિકાસ થશે. ઓદ્યોગિક વિકાસની સાથેસાથે ધંધારોજગારની તકો પણ વધશે.

આજે અમેરિકા અને રશિયા પાસે સમગ્ર જીવસૃષ્ટિનો અનેક વાર નાશ કરી શકાય તેટલી અણુશક્તિ છે. આ અણુશક્તિ વધારતા દુનિયાના દેશોએ મહાન વિજ્ઞાની આઇન્સ્ટાઇને આપેલી ગંભીર ચેતવણી યાદ કરવા જેવી છે – ‘માનવીને પોતાનું અસ્તિત્વ જાળવી રાખવું હશે તો યુદ્ધનો ત્યાગ કરવો પડશે, કારણ કે જો ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો તેમાં અણુશસ્ત્રો વપરાશે જ, પરિણામે સમગ્ર જીવસૃષ્ટિનો સંહાર થશે.’