લોકો ઉત્સવપ્રિય હોય છે પર નિબંધ Everyone loves Festivals Essay in Gujarati

લોકો ઉત્સવપ્રિય હોય છે પર નિબંધ Everyone loves Festivals Essay in Gujarati: મહાકવિ કાલિદાસે કહ્યું છે કે, ‘उत्सवप्रिया: खलु जना:‘ અર્થાત્, ‘માનવો ઉત્સવપ્રિય હોય છે’. માણસની ઉત્સવપ્રિયતી ગમે તેવા દુ:ખમાંથીય એને ફરી બેઠો કરી શકે છે.

લોકો ઉત્સવપ્રિય હોય છે પર નિબંધ Everyone loves Festivals Essay in Gujarati

રોજિંદા એકધારા જીવનથી માનવી કંટાળી જાય છે. વળી, જીવનવ્યવહારની આંટીઘૂંટીમાં અટવાઈ ગયેલો માનવી. તનાવ અનુભવતો હોય છે. માનવી આ મુશ્કેલીઓમાંથી મુક્ત થવા ઇચ્છે છે. આથી જ વર્ષ દરમિયાન અનેક તહેવારો અને ઉત્સવોનું આયોજન પ્રાચીન કાળથી થયેલું છે. તહેવારો અને વિવિધ ઉત્સવોની ઉજવણી દ્વારા માનવી આનંદ, સુખચેન અને પરિવર્તનનો લહાવો મેળવે છે.

વર્ષ દરમિયાન અનેક સામાજિક, ધાર્મિક, રાષ્ટ્રીય, પ્રાકૃતિક, સાંસ્કૃતિક તહેવારો ઊજવાય છે. લોકો પોતાના કુટુંબીજનો, પાડોશીઓ અને મિત્રો સાથે આ તહેવારો ઊજવે છે. ધાર્મિક તહેવારો ઊજવવાથી લોકોની ધાર્મિક ભાવનાનો વિકાસ થાય છે. લોકો ભક્તિમાર્ગે દોરાય છે. વળી, તેઓ બીજાના ધર્મનો આદર કરતાં શીખે છે. સામાજિક તહેવારો લોકોને સમાજસેવાના માર્ગે દોરે છે. રાષ્ટ્રીય તહેવારો ઊજવવાથી લોકોમાં રાષ્ટ્ર પ્રત્યેની ભાવનાનો વિકાસ થાય છે. દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવામાં રાષ્ટ્રીય તહેવારો ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે. સાંસ્કૃતિક તહેવારોથી આપણી સંસ્કૃતિની પરંપરા જળવાઈ રહે છે. પ્રાકૃતિક તહેવારો આપણને પ્રકૃતિપ્રેમી બનાવે છે.

આપણે તહેવારો ઉપરાંત બીજા અનેક ઉત્સવો પણ ઊજવીએ છીએ. આપણે આપણો જન્મદિન ઉજવીએ છીએ. એવા પ્રસંગોએ આપણે મિત્રો અને સગાંસંબંધીઓને આમંત્રણ આપીએ છીએ. આપણે ભેગા મળી મોજમજા અને આનંદ કરીએ છીએ. એ જ રીતે આપણે લગ્નપ્રસંગ, જનોઈ જેવા સામાજિક ઉત્સવો ઉજવીએ છીએ. તેથી આપણો સમાજના લોકો સાથેનો પરિચય વિકસે છે. આવા ઉત્સવોની ઉજવણીમાં જમણવાર ઉપરાંત બીજી પણ ઘણી વ્યવસ્થા કરવાની હોય છે. આથી આપણામાં પ્રેમ, દયા, સહનશીલતા, સદ્ભાવના જેવા ગુણો ખીલે છે અને આપણી વ્યવસ્થા શક્તિનો પણ વિકાસ થાય છે. આપણે પર્યાવરણદિન, વનમહોત્સવ, જન્મજયંતીઓ વગેરે મનાવીએ છીએ. આ ઉપરાંત મેળા, ‘ભાગવત્ સપ્તાહ’, ‘રામાયણ કથા’ વગેરેનું આયોજન પણ થતું રહે છે.

બીજી ઉત્સવોની ઉજવણીમાં ક્યારેક અતિરેક પણ જોવા મળે છે. કેટલાક લોકો મર્યાદા બહારનો બિનજરૂરી ખર્ચ કરે છે. વળી, કેટલાક લોકો દેખાદેખીથી બાહ્ય આડંબર

કરે છે. ક્યારેક ઉત્સવોની સાત્ત્વિકતા અને પવિત્રતા ઓછી જળવાય તેવું પણ બને છે અને તહેવારો તેમજ ઉત્સવો ઉજવવા પાછળનો મૂળભૂત હેતુ વિસરાઈ જાય છે ત્યારે તે

વ્યક્તિ અને સમાજને નુકસાન પણ કરી શકે છે. સહજતા ન રહે અને દંભ કૃત્રિમતા પ્રવેશે ત્યારે ઉત્સવની ઉજવણીનું મહત્ત્વ ઘટી જાય છે. તહેવારો અને ઉત્સવોને સાચા અર્થમાં જીવતા’ રાખવા હશે તો એની ઉજવણી વિવેકપૂર્વક કરવી પડશે.