જો હું વડાપ્રધાન હોઉં તો પર નિબંધ If I were the Prime Minister Essay in Gujarati

જો હું વડાપ્રધાન હોઉં તો પર નિબંધ If I were the Prime Minister Essay in Gujarati OR Jo Hum Vadapradhana Hou To Gujarati Nibandh: માનવમાત્રને કંઈક ને કંઈક બનવાની મહત્ત્વાકાંક્ષા હોય છે. કોઈ ઇજનેર બનવા ઇચ્છે છે તો કોઈ દાક્તર. કોઈ શિક્ષક બનવાની ઇચ્છા રાખે છે તો કોઈ વકીલ, કોઈ સમાજસેવક બનવા માગે છે તો કોઈ પત્રકાર, મારી કલ્પના પ્રધાનમંત્રી થવાની છે. મારી કલ્પના વિશે જાણીને તમને કદાચ હસવું આવશે પરંતુ તેથી હું મારી કલ્પના બદલવાનો નથી.

જો હું વડાપ્રધાન હોઉં તો પર નિબંધ If I were the Prime Minister Essay in Gujarati

આજે દેશની આંતરિક તેમજ બાહ્ય પરિસ્થિતિ અત્યંત નાજુક છે. દેશના કેટલાક ભાગોમાં આતંકવાદ અને ત્રાસવાદ ફેલાયેલો છે. દરરોજ કેટલાય નિર્દોષ લોકોની હત્યા થાય છે. દેશની સરહદે પાકિસ્તાન છાશવારે હુમલાઓ કર્યા કરે છે. દેશમાં કોમવાદ, ભાષાવાદ અને પ્રદેશવાદના દૂષણો વકરતાં જાય છે. ભ્રષ્ટાચાર, લાંચરુશવત, કોળાંબજાર, દાણચોરી જેવાં દૂષણોએ માઝા મૂકી છે. બેકારી, ગરીબી, મોંધવારી, બેરોજગારી, વગેરેએ દેશના લોકોને ચિંતિત કરી ચૂક્યા છે. આવી પરિસ્થિતિમાં વડા પ્રધાનનું કામ લોઢાના ચણા ચાવવા જેવું કપરું થઈ ગયું છે.

ઈશ્વરે મને બુદ્ધિ અને શક્તિ આપ્યાં છે, મિલનસાર સ્વભાવ અને અનોખું વ્યક્તિત્વ પણ આપ્યાં છે. આમ, મારામાં એક સફળ સંચાલક થવા માટે આવશ્યક એવા ગુણો રહેલા છે.

હું વડા પ્રધાન હોઉં તો મારા પ્રધાનમંડળના બધા સાથીદારોના સહકારથી દેશના કલ્યાણનાં કાર્યો કરે. દેશને આંતરિક તેમજ બાહ્ય ભયમાંથી મુક્ત કરવા કડક હાથે કામ લઉં. હું કોઈની શેહશરમ કે દબાણને વશ થયા વિના જ્યાં જરૂર પડે ત્યાં લશ્કરને કડક હાથે કામ લેવાની છૂટ આપું. હું લશ્કરને અદ્યતન સાધનસામગ્રી વડે સજ્જ બનાવું.

આપણો દેશ ખેતીપ્રધાન છે. તેથી ખેતી અને ગ્રામોદ્યોગના વિકાસને હું પૂરું મહત્ત્વ આપું. નદીઓ પર બંધો બંધાવીને સિંચાઈની સગવડ પૂરી પાડું. વળી, ખેડૂતોને સારાં બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ તેમજ ખેતીનાં સાધનો વાજબી ભાવે મળી રહે તેવી વ્યવસ્થા કરું.

નિરક્ષરતા એ ભારતની લોકશાહી માટે મોટું કલંક છે. તંદુરસ્ત લોકશાહીની સ્થાપના માટે દેશની સમસ્યાઓમાં જનતા રસ લે તે જરૂરી છે. તે માટે જનતા સુશિક્ષિત હોવી જરૂરી છે. તેથી હું દેશમાંથી નિરક્ષરતા નાબૂદ થાય તેવું આયોજન કર્યું. નિશાળે જવાલાયક બાળકો નિશાળે જાય તેવું હું આયોજન કરું.

દેશમાંથી ભ્રષ્ટાચાર, લાંચરુશવત, કાળાંબજાર અને દાણચોરી જેવાં દૂષણો દૂર કરવા માટે હું આકરા કાયદા ઘડું અને તેનો કડક અમલ થાય તેવું તંત્ર ગોઠવું. મારા સાથીઓ પાસેથી પણ તેવી અપેક્ષા રાખું. હું નિષ્ણાતોની મદદથી એવું આયોજન કરું કે દેશમાં કોઈ બેરોજગાર ન રહે તેમજ ગરીબોને કામ અને દામ બંને મળી રહે. વળી, હું એવા કાયદા બનાવું કે જેનાથી મોંઘવારી વધતી અટકે. વેપારીઓ વાજબી નફો લઈને વેપાર કરે, કાળાંબજાર ન કરે તેમજ બજારમાં કોઈ પણ વસ્તુની અછત ન સર્જાય.

દેશ પર અવારનવાર વાવાઝોડું, દુષ્કાળ, અતિવૃષ્ટિ, ધરતીકંપ કે રોગચાળા જેવી આફતો આવી પડે છે. હું આવા કપરા કાળમાં અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક અને પૂરતી સહાય મળી રહે એવું વ્યવસ્થાતંત્ર ગોઠવું. દેશના યુવાધનને હું ઘણું મહત્ત્વ આપું છું. તેમને અભ્યાસની, ધંધાની અને નોકરીની ચિંતા ન રહે તેવું હું આયોજન કરાયું. કૉલેજમાં ભણતા યુવાનો માટે હું લશ્કરી તાલીમ ફરજિયાત બનાવું.

હું વિજ્ઞાન અને ટેક્નોલૉજીના ક્ષેત્રે દેશનો ઝડપી વિકાસ થાય તેવું આયોજન કરાવું. હું બિનજરૂરી સરકારી ખર્ચા અને પ્રધાનોના મોંઘાદાટ વિદેશપ્રવાસો બંધ કરાવું. હું પોતે સાદાઈ અપનાવું અને અન્યોની પાસેથી પણ સાદાઈનો આગ્રહ રાખું.

હું વડા પ્રધાન તરીકે એવાં સુંદર કાર્યો કરું કે લોકો સદીઓ સુધી મારાં કાયોને યાદ કરે અને દરેક નાગરિક ગર્વથી કહી શકે : मेरा देश महान।