મફત મેળવવાની કળા પર નિબંધ the Art of Getting Free Essay in Gujarati

મફત મેળવવાની કળા પર નિબંધ the Art of Getting Free Essay in Gujarati: સર્વ કળાઓમાં શ્રેષ્ઠ કળા એટલે મફત મેળવવાની કળા. ઘણાને આ કળા જન્મથી જ મળેલી હોય છે. ઘણા બીજાને જોઈને આ કસબ શીખે છે. જેની પાસે આ કળા હોય છે તે વગર મહેનતે લીલાલહેર કરે છે.

મફત મેળવવાની કળા પર નિબંધ the Art of Getting Free Essay in Gujarati

સમાજના બધા જ વર્ગના લોકોમાં આ કળા વત્તા-ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આ પ્રકારના માનવીઓમાં ગરીબ-તવંગર, નાનામોટા, સ્ત્રીપુરુષ કે શેઠનોકરના ભેદ હોતા નથી. માનવસ્વભાવ જ એવો છે કે તેને મફતમાં મળતી વસ્તુમાંથી વિશેષ આનંદ મળે છે.

સવારના પહોરમાં જ ‘બહેન, થોડીક ચા ઉછીની આપજો ને, હું કાલે ચા ખરીદવાનું ભૂલી ગઈ હતી.’ – એમ કહીને પાડોશીને ત્યાંથી ઉછીનું લેવાની શરૂઆત થાય. આ રીતે ખાંડ, તેલ, લોટ, દાળ વગેરે ઉછીનું લઈ આવ્યા પછી પાડોશીને તે પાછું આપવાનું ભૂલી જનારા લોકો આ સંસારમાં ઘણા છે. “ગૅસનો બાટલો આવ્યો છે અને “એ” બાટલાના પૈસા આપી જવાનું ભૂલી ગયા છે. હમણાં બસો રૂપિયા આપો ને. સાંજે પાછા આપી દઈશ.” – એવું કહીને ઉછીના પૈસા લઈ જનાર બહેન બસો રૂપિયા પાછા મેળવવા માટે પાડોશીને બસો ધક્કા ખવડાવે છે ! આવા વર્તનને લીધે ક્યારેક આપણા સંબંધો પણ બગડે છે. કેટલાક લોકો છાપું, વાહન, પુસ્તક, ઓજાર વગેરે વસ્તુઓ માગવામાં સહેજ પણ સંકોચ અનુભવતા નથી અને પછી આ ચીજો પરત કરવાની દરકાર કરતા નથી અથવા પરત કરવાનું ભૂલી જાય છે !

ગામડાના લોકો પણ પાડોશીનાં પુસ્તકો, ખેતીનાં ઓજારો, વાસણો વગેરે ચીજવસ્તુઓ પાછી આપવાનું કહીને લઈ જાય છે અને પછી એ વસ્તુઓ સમયસર પાછી આપતાં નથી. બીડી, તમાકુ, દીવાસળી, ચા વગેરે વસ્તુઓ તો કેટલાક લોકો હંમેશાં મફતમાં જ મેળવી લેતા હોય છે. બાળકો પણ અન્ય બાળકોને સમજાવી-પટાવીને તેમની પાસેથી મફતમાં ઘણી વસ્તુઓ પડાવી લે છે.

લોકોના મફત મેળવવાના સ્વભાવનો વેપારીઓ પણ ભરપૂર લાભ ઉઠાવે છે. વેપારીઓ લોભામણી જાહેરાતો આપીને લોકોને છેતરે છે. ‘બે પૅન્ટપીસની ખરીદી પર એક પૅન્ટપીસ મફત’, ‘એક મોટા રંગીન ટીવી સાથે એક ઇસ્ત્રી ભેટ’, ‘₹ 10માં પાંચ વસ્તુઓ’, ‘દોડો… દોડો… આજે સાડીના સેલનો છેલ્લો દિવસ…’ વગેરે જેવી જાહેરાતો આપીને વેપારીઓ લોકોને આકર્ષે છે. તેથી વેપારીની વસ્તુઓનું વેચાણ વધે છે. આમ, ગ્રાહકને હલકો માલ પધરાવી દેવાતો હોવાથી ગ્રાહકને કોઈ ફાયદો થતો નથી. મેળામાં કે વોટરપાર્કમાં મેરા ખબર પડે કે તેમાં આવેલી દુકાનોમાં વેચાતી વસ્તુઓ તો ખૂબ મોંધી છે છતાં મનુષ્યનો સ્વભાવ જ એવો છે કે મફતમાં મળતી વારમાં તેને જે આનંદ મળે છે તે પૈસા ખર્ચને લીધેલી વસ્તુઓથી મળતો નથી.

મફત મેળવવાની કળાને લીધે માણસનો સ્વભાવ આળસુ થઈ જાય છે. લાંચરુશવત, કાળાંબજાર, ભ્રષ્ટાચાર વગેરે મફત મેળવવાની કળાની આડપેદાશો “છે. આ દૂષણોને લીધે સમાજનું ખૂબ ઝડપથી નૈતિક પતન થાય છે.

આમ છતાં, સમાજમાં ઘણા લોકો નીતિમાન પણ હોય છે. તેઓ મફતનું મેળવવામાં માનતા નથી. તેઓ પોતાની જરૂરિયાતો વધારતા નથી કે દેખાદેખીમાં રાચતા નથી.. તેઓ વૈભવી જીવનને બદલે નીતિમય સાદા જીવનને વધુ મહત્ત્વ આપે છે. મનુષ્ય મફત મેળવવાની વૃત્તિનો ત્યાગ કરવો જોઈએ. ‘હરામનું ખાવું નહિ’ એ સિદ્ધાંત અપનાવીએ તો મફત મેળવવાની આપણી વૃત્તિ આપોઆપ દૂર થઈ જાય. આમ છતાં, પ્રેમથી મળેલી કોઈ નાનીમોટી ભેટ સ્વીકારી શકાય.