જીવનમાં તહેવારોનું મહત્ત્વ પર નિબંધ The Importance of Festivals in life Essay in Gujarati

જીવનમાં તહેવારોનું મહત્ત્વ પર નિબંધ The Importance of Festivals in life Essay in Gujarati: એકધારા જીવનથી માણસ કંટાળી જાય છે. એવું જીવન નીરસ લાગે છે. જીવનને રસપુર્ણ બનાવવા માટે આપણા પૂર્વજોએ વર્ષ દરમિયાન અનેક તહેવારોનું આયોજન કરેલું છે. આ તહેવારો આપણે સૌ સાથે મળીને ઉજવીએ છીએ. તેથી જીવનમાં આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ સર્જાય છે. આપણા જીવનમાં તાજગી, સ્કૂર્તિ અને નવચેતનાનો સંચાર થાય છે. આજના જમાનાની તણાવવાળી જિંદગીને તહેવારો હળવી ફૂલ બનાવે છે.

જીવનમાં તહેવારોનું મહત્ત્વ પર નિબંધ The Importance of Festivals in life Essay in Gujarati

ભારતમાં લોકો ધાર્મિક, સામાજિક, પ્રાકૃતિક, સાંસ્કૃતિક, રાષ્ટ્રીય વગેરે અનેક પ્રકારના તહેવારો ઊજવે છે. દરેક ધર્મના લોકો પોતાના ધાર્મિક તહેવારો ઊજવે છે. હિંદુઓ જન્માષ્ટમી, શિવરાત્રિ, રામનવમી, દશેરા, દિવાળી જેવા તહેવારો, મુસલમાનો રમઝાન ઈદ, મહોરમ, બકરી ઈદ જેવા તહેવારો, ખ્રિસ્તીઓ નાતાલ અને ગુડ ફ્રાઈડે જેવા તહેવારો તથા જૈનો પર્યુષણ અને મહાવીર જયંતી જેવા તહેવારો ઊજવે છે. પતેતી પારસીઓનો ધાર્મિક તહેવાર છે. વૈશાખી શીખોનો અને બુદ્ધજયંતી બૌદ્ધ લોકોનો ધાર્મિક તહેવાર છે. ધાર્મિક તહેવારો વખતે લોકો પોતાના ઇષ્ટદેવની શ્રદ્ધા અને ભક્તિપૂર્વક પૂજા કરે છે. આવા પ્રસંગે લોકોમાં દયા, પ્રેમ, ક્ષમા, સહનશીલતા અને સહિષ્ણુતા જેવા ગુણો કેળવાય છે.

રક્ષાબંધન, ભાઈબીજ અને ઉત્તરાયણને સામાજિક તહેવારો કહી શકાય. સમાજના બધા જ લોકો આ તહેવારો ઊજવે છે. આવા તહેવારોની ઉજવણીથી પરસ્પર ભાઈચારાની ભાવના કેળવાય છે.

મહા સુદ પાંચમે આવતી વસંતપંચમીને પ્રાકૃતિક તહેવાર ગણી શકાય. આવા તહેવારોની ઉજવણીથી લોકો પ્રકૃતિપ્રેમી બને છે અને નૈસર્ગિક રમણીય વાતાવરણનો આનંદ માણે છે.

સાંસ્કૃતિક તહેવારો આપણી સંસ્કૃતિની પરંપરાને ધબકતી રાખે છે. નવરાત્રિ ભલે ધાર્મિક તહેવાર હોય પરંતુ નવનવ રાત્રિ દરમિયાન ગવાતા ગરબામાં આપણી સંસ્કૃતિનું પ્રતિબિંબ પડે છે.

તહેવારો સામાજિક જીવનને ઘનિષ્ટ બનાવે છે. તે માણસ અને માણસ વચ્ચેનું અંતર ઓછું કરે છે. ભારત જેવા કૃષિપ્રધાન દેશમાં હોળી, ધુળેટી અને દિવાળીને વાવણી, કાપણી અને પાક લેવા સાથે સંબંધ છે. તહેવારો સ્વાથ્ય જાળવવામાં પણ મદદરૂપ થાય છે. જેમ કે ફાગણમાં આવતી હોળીમાં ધાણીચણા અને ખજૂરનું મહત્ત્વ છે. આ ચીજો કફનાશક અને શક્તિવર્ધક છે. આમ, તહેવારો જીવનપોષક અને સંવર્ધક બની રહે છે.

સ્વાતંત્ર્યદિન, પ્રજાસત્તાકદિન અને ગાંધીજયંતી જેવા રાષ્ટ્રીય તહેવારો રાષ્ટ્રીય એકતા જાળવી રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. નાતજાતના ભેદ ભૂલીને લોકો આ તહેવારો આનંદ અને ઉલ્લાસથી ઉજવે છે. તેથી આપણી રાષ્ટ્રભાવના કેળવાય છે. ગાંધીજયંતીના દિવસે આપણે ગાંધીજીના જીવન અને કાર્યોમાંથી આદર્શ જીવન જીવવાની પ્રેરણા મેળવીએ છીએ.

તહેવારોની ઉજવણીથી આપણા પરસ્પરના સંબંધોમાં મીઠાશ આવે છે. આપણે એકબીજાને સારી રીતે ઓળખતાંસમજતાં થઈએ છીએ. આપણે ‘માફ કરો અને ભૂલી જાઓ’ની ભાવના કેળવીએ છીએ.

તહેવારોની ઉજવણીમાં સંયમ જળવાય અને બીજાને અગવડ ન પડે તેની કાળજી રાખવામાં આવે તો તહેવારો સૌને માટે આનંદદાયી અને ફળદાયી બની રહેશે.