ભારતમાં હવે વ્યવસાયી શિક્ષણ જ જોઈએ પર નિબંધ Vocational Education Essay in Gujarati

ભારતમાં હવે વ્યવસાયી શિક્ષણ જ જોઈએ પર નિબંધ Vocational Education Essay in Gujarati OR Bharat Ma Vyavsayi Shikshan Guajrati Nibandh: શિક્ષણનું ધ્યેય વ્યક્તિના સર્વાગી વિકાસનું હોવું જોઈએ. તેમાં પણ દરેક વ્યક્તિ શિક્ષણ મેળવીને આર્થિક રીતે પોતાના પગ પર ઊભી રહે એ ખૂબ જરૂરી છે. એ દષ્ટિએ આજનું પુસ્તકિયું શિક્ષણ વ્યક્તિને આત્મનિર્ભર બનાવે છે ખરું?

ભારતમાં હવે વ્યવસાયી શિક્ષણ જ જોઈએ પર નિબંધ Vocational Education Essay in Gujarati

આજનું શિક્ષણ મોટા ભાગે પરીક્ષાલક્ષી છે. પરીક્ષામાં સારા માર્કસ લાવવા અથવા ઉત્તીર્ણ થવું એ જ જાણે આજના શિક્ષણનું એકમાત્ર ધ્યેય થઈ પડ્યું છે. આને પરિણામે છે. પરીક્ષાઓમાં ખૂબ સારું પરિણામ લાવનાર વિદ્યાર્થી પણ આર્થિક બાબતે નબળો પુરવાર. થતો દેખાય છે. આમ, આજનું શિક્ષણ મોટે ભાગે સામાન્ય કારકુનાં જ તૈયાર કરે છે.

આજે અસંખ્ય સ્નાતક અને અનુસ્નાતક યુવાનો નોકરીની શોધમાં આમતેમ ભટક્યા કરે છે. આ યુવાનોને કંઈક કામ તો કરવું જ છે. વળી, શ્રમ કરવામાં પણ તેઓ પાછા પડે એમ નથી. છતાં તેમને સંતોષજનક કામ મળતું નથી. તેથી સારી આવક મેળવવાનો એકમાત્ર વ્યવહારુ ઉકેલ વ્યવસાયલક્ષી શિક્ષણ છે, પરંતુ મોટા ભાગના યુવાનો પાસે કોઈ વ્યવસાયલક્ષી જ્ઞાન કે દષ્ટિ નથી. વળી, તેમને પારંપરિક વ્યવસાયનો અનુભવ પણ હોતો નથી.

આ સંજોગોમાં વિદ્યાર્થીઓને પ્રાથમિક કક્ષાથી જ વ્યવસાયી શિક્ષણ આપવું જોઈએ. શાળાના શિક્ષણમાં નાના હુન્નર ઉદ્યોગો અને ગૃહઉદ્યોગોના શિક્ષણને ફરજિયાત બનાવવું જોઈએ, અન્ય વિષયની સાથેસાથે વ્યવસાયી શિક્ષણ આપવાથી વિદ્યાર્થીઓને હુન્નરની કેળવણી પણ મળી શકશે. હુન્નરઉદ્યોગ શીખેલા વિદ્યાર્થીઓ આગળ જતાં આર્થિક રીતે સ્વાવલંબી બની શકશે. તેમને શારીરિક શ્રમ કરવામાં ક્ષોભ કે સંકોચ નહિ થાય. વળી, તેનાથી ગૃહઉદ્યોગો જીવતા રહેશે. બેકારીનું પ્રમાણ પણ ઘટશે.

વ્યવસાયલક્ષી શિક્ષણમાં વિદ્યાર્થીની વયમર્યાદા પ્રમાણે શીખવી શકાય તેવા વિષયોનો સમાવેશ થઈ શકે. ઢીંગલીઓ બનાવવી, ફૂલો, ફળફળાદિ તથા શાકભાજી ઉત્પાદનનાં કામો, ખેતીવાડીને લગતાં કામો, દૂધમાંથી બનતી ચીજવસ્તુઓ, બેકરીની બનાવટો, પાણીના પંપ રિપૅરિંગ કરવા, વાયરમૅન, સુથારીકામ, લુહારીકામ, સાઇકલોના રિપૅરિંગનું કામ, સાબુ, તેલ, પાઉડર વગેરે પ્રસાધનોનાં સાધનો બનાવવાં, ભરતકામ, મોતીકામ, સીવણકામ, મીણબત્તીઓ તૈયાર કરવી, ફોટોફ્રેમો બનાવવી, શરબતો બનાવવાં, કેપ્યુટરનું શિક્ષણ મેળવવું વગેરે. એ માટેના અભ્યાસક્રમો તૈયાર કરી પ્રાથમિક ધોરણથી જ વિદ્યાર્થીઓને શ્રમ કરવા પ્રેરી શકાય.

આને કારણે વિદ્યાર્થી ધીરેધીરે એ વ્યવસાયમાં નિપુણતા પ્રાપ્ત કરી શકશે અને જીવનમાં પ્રગતિ કરી શકશે. આમ બનશે તો દેશમાં ઉદ્યોગોનો ઝડપી વિકાસ થશે અને સાથેસાથે દેશનો પણ વિકાસ થશે.

બેકારી, મોંઘવારી અને ગરીબી ભારતની આજની અતિ ગંભીર સમસ્યાઓ છે. હજારો યુવકો નાનામોટા વ્યવસાયમાં જોડાશે એટલે આવક મેળવતા થશે અને તેથી બેકારી ઘટશે. જો ભારતને વૈશ્વિક હરીફાઈમાં ટકવું હશે તો આયોજનપૂર્વકના વ્યવસાયલક્ષી શિક્ષણ વગર ચાલશે નહીં.