જો મનુષ્ય અમર હોત તો પર નિબંધ What if Humans were Immortal Essay in Gujarati

જો મનુષ્ય અમર હોત તો પર નિબંધ What if Humans were Immortal Essay in Gujarati: સંસારમાં જે જન્મે છે તે મરે છે, જે ખીલે છે તે કરમાય છે. જે ઊગે છે તે આથમ છે. નામ માત્રનો નાશ થાય છે. સૃષ્ટિનો આ સનાતન નિયમ છે.

જો મનુષ્ય અમર હોત તો પર નિબંધ What if Humans were Immortal Essay in Gujarati

મનુષ્યનું જીવન ચાર દિવસની ચાંદની જેવું છે. મનુષ્યના સરેરાશ 70 વર્ષના આયુષ્યમાંથી 25 વર્ષ તો ઊંધવામાં પસાર થઈ જાય છે. બાકીનાં વર્ષો ભણવામાં, રખડવામાં, સંસારની ઝંઝટોમાં તેમજ નોકરી ધંધામાં વીતી જાય છે. પાછલી જિંદગીનાં ઘડપણનાં વર્ષોમાં આંખે ચોખ્ખું દેખાતું ન હોય, કાને સ્પષ્ટ સંભળાતું ન હોય, સ્પષ્ટ બોલાતું ન હોય, ડગ બરાબર માંડી શકાતાં ન હોય ત્યારે મનુષ્ય પોતાના જીવનથી કંટાળી જાય છે.

જો મનુષ્ય અમર હોત, તો એ ધડપણની અનેક યાતનાઓથી ત્રાસી ગયો હોત. માનવીની જિંદગીની કિંમત કોડીની પણ રહી ન હોત. એનું જીવન નીરસ અને નિરર્થક બની ગયું હોત. મનુષ્યને મૃત્યુનો ભય ન રહેતા અને મનુષ્ય સ્વછંદી થઈ જાત. તેને કોઈની પડી ન હોત. તેનું જીવન આહાર, નિદ્રા, એશઆરામ અને અનેક પ્રકારનાં પ્રલોભનોમાં ખોવાઈ ગયું હોત !

જો મનુષ્ય અમર હોત, તો વસ્તી એટલી બધી વધી જાત કે આ ધરતી પર પગ મૂકવાની જગ્યા ન રહેત. માનવીએ અવકાશમાં, ભૂગર્ભમાં અને પાણીમાં પણ વસવાટ કરવો પડત! તેની સાથે જીવનજરૂરિયાતની વસ્તુઓનો પ્રશ્ન પણ વિકટ બની જાત. સખત ભૂખમરો હોત અને મનુષ્ય પાણી, વિના ટળવળતો હોત. ઘરઘરમાં ઘરડાં માણસો ઊભરાઈ રહ્યાં હોત. દરેક ઘરમાં ખૂણેખૂણે વૃદ્ધજનોના ખાટલા પડ્યા. હોત. તેમના કરચલીઓવાળા ચહેરા અને હાડપિંજર જેવાં શરીર બિહામણાં લાગત. ઘરમાં વસતો યુવાનવર્ગ ઘરડાંની સેવા કરી કરીને કંટાળી ગયો હોત, જૂની અને નવી પેઢી વચ્ચેનો સંઘર્ષ પરાકાષ્ઠાએ પહોંચી ગયો હોત. માણસ માણસ વચ્ચે પ્રેમ અને લાગણીનો અભાવ સર્જાયો હોત. વડીલોની માનમર્યાદા અને વિનયવિવેક જળવાતાં ન હોત. દરેક કુટુંબ વિકરાળ ઝઘડાનું અખાડો બની ગયું હોત.

નાશવંત જીવનમાં જે સૌંદર્ય રહેલું છે તે કદાચ શાશ્વત જીવનમાં જોવા ન પણ મળે. નાશવંત જીવનને લીધે જ મનુષ્ય જીવનનો સાચો ઉલ્લાસ અને આનંદ માણી શકે છે. પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ અને લાગણીના સંબંધો જળવાઈ રહે છે. વૃદ્ધો પ્રત્યે માનમર્યાદા અને વિનયવિવેક જળવાય છે. સામાજિક અને રાજકીય જીવનમાં અવનવાં પરિવર્તનો થતાં રહે છે. જિંદગી અભિશાપ નહિ પણ આશીર્વાદ જેવી લાગે છે. મનુષ્ય તેના ટૂંકા જીવનને ફૂલની જેમ ખીલવી શકે છે અને પોતાની સુવાસ ચોમેર પ્રસરાવી શકે છે. તે મરીને પણ અસર થઈ શકે છે.

પ્રભુની લીલા ખરેખર અકળ છે. એણે જે નિર્માણ કર્યું છે એ તદન સાચું અને યોગ્ય જ છે.